અંકલેશ્વર અને ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચેથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ માનવતાને શરમજનક બનાવી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કરુણ ઘટના બપોરના સમયે બની હતી. સ્થાનિક લોકોએ નર્મદા મૈયા બ્રિજ નીચેના કાદવ અને કીચડમાં એક નવજાત બાળકનો મૃતદેહ તરતો જોયો હતો. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોતા જ તેમણે તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે મુશ્કેલીથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને જોતા જ કાર્યકરોની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈએ નિષ્ઠુર કૃત્ય કરનાર વ્યક્તિ પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને એ દિશામાં તપાસ કરી રહી છે કે નવજાતને બ્રિજ પરથી ફેંકવામાં આવ્યો હતો કે પછી નદીના કિનારે ત્યજી દેવામાં આવ્યો હતો. આ નિષ્ઠુર કૃત્ય કરનાર જનેતા અથવા અન્ય કોઈ વ્યક્તિને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકોએ આવા ક્રૂર કૃત્યની સખત નિંદા કરી છે અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com