ભારે વરસાદને કારણે ભીમપુરા રોડ પર જૂના મકાનો અને દીવાલો ધરાશાયી થઈ, રહીશોમાં ભય. : આમોદ નગરમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે ભીમપુરા રોડ પર આવેલી નવીનગરીમાં ગરીબ અને સ્લમ વિસ્તારના જૂના મકાનોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. રાત્રિના સમયે થયેલા ભારે વરસાદને કારણે એક આખું જૂનું મકાન અને બે અન્ય મકાનોની દીવાલો ધરાશાયી થઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
આમોદના સ્લમ વિસ્તારના લોકો જીવના જોખમે રહેવા મજબૂર, તંત્ર પાસે આશા. : એક મકાનને તો લાકડાના ટેકા વડે માંડ માંડ ટકાવી રાખવામાં આવ્યું છે. જે ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં છે. આ ગરીબ પરિવારો જીવના જોખમે આવા જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે, કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોની માંગણી છે કે, આમોદ નગરપાલિકા અને સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા જૂના અને જોખમી મકાનોનો સર્વે કરવામાં આવે. તેમજ રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડીને આ મકાનોનું સમારકામ અથવા તો નવા મકાનોની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
દ્વારા જર્જરિત મકાનોનો સર્વે કરી રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની અપીલ. : આ ઘટનાએ ફરી એકવાર જૂના અને જર્જરિત મકાનોમાં રહેતા ગરીબ પરિવારોની સમસ્યાને ઉજાગર કરી છે. તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સાથે સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com