Geo Gujarat News

નર્મદા: ડેડીયાપાડામાં AAPનો કિલ્લો ધ્વસ્ત, 500થી વધુ લોકોનો સામૂહિક પક્ષપલટો, ભાજપને મોટો ફાયદો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની વિચારધારાથી પ્રેરિત થઈને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. આ કડીમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 550થી વધુ કાર્યકર્તાઓએ AAPનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ વિશાળ જોડાણથી ડેડીયાપાડા તાલુકામાં AAPને મોટો ફટકો પડ્યો છે.

ભાજપના દિગ્ગજોની ઉપસ્થિતિ : ટીલીપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત જિલ્લા પંચાયત સભ્ય ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા (ભોલાભાઈ), તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા, અને તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ વસાવા જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા.વિકાસની નીતિથી પ્રભાવિત થઈને જોડાણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક ક્ષેત્રમાં વિકાસની કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમની આ વિકાસની નીતિઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારોમાં કરવામાં આવી રહેલી સક્રિય કામગીરી જોઈને કાર્યકર્તાઓ દિવસને દિવસે ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે. ટીલીપાડા ખાતે પણ આ જ વિચારધારાથી પ્રેરાઈને 550થી વધુ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. ઉપસ્થિત મહાનુભવોએ તમામ નવા જોડાનારા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ આ તમામ કાર્યકર્તાઓનું ભાજપમાં જોડાવા બદલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જોડાણથી ડેડીયાપાડા તાલુકા અને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું સ્પષ્ટ થાય છે.ભાજપ જિલ્લા પ્રમુખની પ્રતિક્રિયા : ​આ વિશાળ જોડાણ અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે રીતે દેશ અને વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, તેનાથી પ્રેરાઈને લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ​તેમણે હાલમાં જ ડેડીયાપાડામાંથી ચિક્ટા તાલુકાને અલગ કરવાની વાત પર ભાર મૂક્યો હતો. જે લોકોને સુખ-સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. પ્રમુખશ્રીએ કહ્યું કે આ બધા કામોથી પ્રેરાઈને ટીલીપાડા ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો સહિત 500થી વધુ લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ડેડીયાપાડા તાલુકા અને વિધાનસભામાં અગાઉ સામાન્ય પ્રજાજનોને નાની-મોટી સમસ્યાઓ કે કામ હોય ત્યારે તેમની પર વિશ્વાસ મૂકી શકાય તેવા વ્યક્તિઓ ઉપસ્થિત રહેતા ન હતા, જેના કારણે લોકોને ખૂબ સમસ્યા પડતી હતી. પરંતુ, હવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બૂથ લેવલ પર સક્રિય થઈને કામ કરી રહ્યા છે. ​તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં જે લોકો યુવાનો અને મહિલાઓને છેતરીને ગયા હતા. તેમનાથી હવે ડેડીયાપાડા વિધાનસભાની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. આ તમામ વિષયોને ધ્યાનમાં રાખીને અને એક નવી ઉર્જા સાથે લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર કાર્યકર્તાનો પ્રતિભાવ : ​ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કાર્યકર્તા અને ટીલીપાડા ગામના રહેવાસી મગનભાઈ ભોનાભાઈ વસાવાએ આ જોડાણ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, આજ દિન સુધી તેઓ આમ આદમી પાર્ટી સાથે રહ્યા. પરંતુ તેમનો કોઈ વિકાસ થયો નથી. ​આથી તેમણે અને ગામના લોકોએ એકસાથે વિચાર કરીને નિર્ણય લીધો કે, તેઓ હવે ભાજપમાં જોડાશે. તેમણે જણાવ્યું કે, 500 થી 550 જેટલા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ​તેમણે વિશેષ કરીને જિલ્લા ભાજપના પ્રમુખનો આભાર માન્યો હતો. જેઓ વરસાદ હોવા છતાં રાજપીપળાથી ટીલીપાડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમની સફળતા માટે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ખૂબ સરસ આ વરસાદમાં પણ કાર્યક્રમ સારો રહ્યો.

ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાનો વિરોધ, નારાબાજી સાથે સ્થાનિકોનો આક્રોશ.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.