Geo Gujarat News

આમોદ નજીક નેશનલ હાઇવે-૬૪ પર વિકાસના દાવાઓનો પર્દાફાશ અને વાહનચાલકોની કફોડી હાલત!

ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૬૪ની હાલત આજે ખખડધજ જ નહીં પણ જીવલેણ બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રાષ્ટ્રીય ધોરી માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો હોય તેમ ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ધરાવે છે. રોડની આ બિસ્માર હાલતથી વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જ્યાં તેમને માણસોને બદલે જાણે જાનવરો કરતાં પણ બદતર હાલતમાં મુસાફરી કરવી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકોની હાલત તો સૌથી વધુ કફોડી છે, કારણ કે ખાડાઓ અને છૂટાછવાયા મેટલના કારણે તેઓ અવારનવાર પટકાઈ રહ્યા છે અને ઈજાઓનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોના કડક શબ્દોમાં આક્ષેપ છે કે, આ માર્ગનું બાંધકામ થયું તેને માંડ ચારથી છ મહિના જ થયા છે, છતાં રોડ પર ખાડા રાજ જોવા મળે છે, જે સ્પષ્ટ રીતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સૂચવે છે. વળી, રસ્તા પરના ખાડાઓની એક તરફની આપત્તિ ઓછી હોય તેમ, બીજી તરફ ધૂળની ઊડતી ડમરીઓ વાતાવરણને દૂષિત કરી રહી છે અને વાહનચાલકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવે છે, જેમાં છૂટાછવાયા મેટલ પાથરીને લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થાય છે. આ હાઇવે પરના અનેક અકસ્માતોએ લાખોનું નુકસાન કર્યું છે અને અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે. પ્રજાની માંગ છે કે તંત્ર નિંદ્રામાંથી જાગીને, તાત્કાલિક ધોરણે અને ગુણવત્તાયુક્ત સમારકામ કરીને વાહનચાલકોને આ નર્કાગાર જેવી યાતનામાંથી મુક્તિ અપાવે.આમોદ નજીકથી પસાર થતો નેશનલ હાઇવે ૬૪ આજે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે, અને સ્થાનિકોમાં તો હવે આ વિસ્તાર ખાડાઓનો ગઢ તરીકે જાણીતો બન્યો છે. આ મોતના માર્ગ પર ગત રાત્રે પણ એક મોપેડ ચાલક ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યો હતો. આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી. હકીકત એ છે કે આ માર્ગ સતત અકસ્માતોનું કારણ બની રહ્યો છે. ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે, છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ જાણે ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેમ જણાય છે. કરોડોના ખર્ચે બનેલા આ રસ્તાની આવી કફોડી હાલત છતાં, જે અધિકારીઓએ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા જોઈએ, તે જ અધિકારીઓ નીંદણ માળી રહ્યા છે. આ બેદરકારી અને ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે, જે દર્શાવે છે કે આ નિર્લજ્જ તંત્રને જનતાના જીવની કોઈ પરવા નથી. આ લાચારી, રોષ અને પીડાનો અંત ક્યારે આવશે? જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે? યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.