વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત એરિસ કલરકેમ પ્રા.લિ. કંપનીમાં એક ગંભીર ઘટના બની હતી. જેમાં એક કામદારનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના મુદ્દે ગહન સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ ગત તારીખ ૦૨/૧૧/૨૦૨૫ના રોજ આ દુર્ઘટના બની હતી. મૃતક કામદારની ઓળખ મૂળ મધ્યપ્રદેશના રાજુ ટીટીયા વસુનિયા ઉંમર ૩૧ તરીકે થઈ છે. રાજુ વસુનિયા કંપનીમાં લ-એસિડ પાવડરની થેલી ડ્રાયર મશીનમાં નાંખવાનું કામ કરી રહ્યો હતો. આ કામગીરી દરમિયાન તેને લ-એસિડ પાવડરની તીવ્ર ગંધ લાગી હતી.
જેના કારણે તેને અચાનક ઉલ્ટીઓ થવા લાગી હતી. કામદારની ગંભીર હાલત જોતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબે રાજુ વસુનિયાને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં કામદારનું મોત ખરેખર લ-એસિડ પાવડરની ગંધ લાગવાથી થયું છે, કે પછી આ મોત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાગરા પોલીસે આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. અને હવે તપાસના અંતે જ કામદારના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ દુર્ઘટનાએ કંપનીની કાર્યસ્થળ પરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com