ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં વર્તમાન સમયમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદઅલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પીસીસી ડેલીગેટ ઝુબેર પટેલ, એસી ડિપાર્ટમેન્ટના સતીન મહેતા સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કારોબારી બેઠક દરમિયાન SIRની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા નિમણૂક કરાયેલા BLA-2 સાથે મળીને મતદારોના નામ મતદાર યાદીમાં સરળતાથી સામેલ થાય અને તેમની સમસ્યાઓનું ઝડપી નિવારણ લાવી શકાય તે માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.

આ સાથે આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં વોર્ડ દીઠ જનસંવાદ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સત્તાધારી ભાજપના શાસનમાં લોકોને પડતી તકલીફો અને જનસમસ્યાઓને નજીકથી સમજશે અને તેના ઉકેલ માટે સંઘર્ષ કરશે. બેઠક દરમિયાન કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બની બીટીપીના આગેવાનો અને કાર્યકરો શૈલેષ વસાવા, મહેશ વસાવા, કનુ વસાવા, ભીમરાજ મોરે, લક્ષ્મી વસાવા, શબ્બીર અહમદ સહિત અંદાજે ૨૫ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.તમામ જોડાયેલા કાર્યકરોએ જનહિતના મુદ્દાઓને વધુ બુલંદ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ એકી અવાજે જનવિરોધી અને ભ્રષ્ટ શાસન સામે લડત આપવાની હાકલ કરી હતી. આ કારોબારી બેઠક અને જોડાણોને લઈ ભરૂચ શહેર કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું જોવા મળ્યું હતું.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com