ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત શેરી ફેરિયાઓને આર્થિક રીતે પગભર બનાવવાના ઉમદા હેતુથી આમોદ ખાતે ભવ્ય ડિસ્બર્સ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના હેઠળ આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, તા. ૨૩/૦૧/૨૦૨૬ના રોજ વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને કેરળના તિરુવનંતપુરમ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને જ આમોદમાં પણ સ્થાનિક સ્તરે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી દેવ કિશોર સ્વામીના હસ્તે નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને લોનના સેન્શન લેટર એનાયત કરવામાં આવ્યા હતા. યોજના અંતર્ગત કુલ ૧૫ લાભાર્થીઓને રૂ. ૧૦,૦૦૦ થી લઈને ૫૦,૦૦૦ સુધીની લોન સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, બીજા તબક્કાની ૨૦,૦૦૦ની લોન પૂર્ણ કરનાર ફેરિયાઓને ક્રેડિટ કાર્ડની સુવિધા અને ડિજિટલ લેવડદેવડ અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન આમોદ શહેર ભાજપના પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકાના સભ્યો, બેંક અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ હાજર રહ્યા હતા. પીએમ સ્વનિધિ યોજના માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ નાના શ્રમિકોના આત્મસન્માન અને રોજગારી માટે એક શક્તિશાળી સાધન બની રહી હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023