ઝઘડિયા પંથકમાં રેત માફિયાનો આતંક? : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સત્યના અવાજને દબાવવાનો પ્રયાસ કરતા રેત માફિયાના કૃત્ય સામે પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાણીપુરા ગામે નર્મદા નદીમાં મશીનો દ્વારા ચાલતી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિનું કવરેજ કરવા ગયેલા પત્રકાર જયશીલ પટેલ પર ગોવાલી ગામના કુખ્યાત બુટલેગર અને રેત માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડીયાએ હિંસક હુમલો કર્યો હતો. નવાઈની વાત એ છે કે, આ ઘટના સમયે કેટલાક સરકારી અધિકારીઓની હાજરી હોવા છતાં બેફામ બનેલા ખનીજ ચોરોએ પત્રકાર પર હુમલો કરવાની હિંમત કરી હતી, જે તંત્રની કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
પત્રકાર પર હુમલો કરનાર દેવાંગ સામે પાસા લગાવવા કલેક્ટરને રજૂઆત : આ ઘટનાના વિરોધમાં સમગ્ર ભરૂચ જિલ્લાના પત્રકારો એકજૂથ થયા છે. પત્રકારોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, હુમલાખોર દેવાંગ પાટણવાડીયા અગાઉ પણ દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની ગુનાહિત માનસિકતા સમાજ માટે જોખમી છે. પત્રકારોએ માંગ કરી છે કે આ શખ્સ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ઝઘડિયા પંથકમાં નર્મદાના પટમાં ચાલતા બેરોકટોક ખનન અને માફિયાઓની વધતી દાદાગીરીને ડામવા માટે પોલીસ કડક પગલાં ભરે તેવી પત્રકાર આલમે ઉગ્ર માંગ કરી છે.
ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા નરાધમ સામે પાસાનું શસ્ત્ર ઉગામવા પત્રકાર આલમનો પડકાર : ઝઘડિયામાં પત્રકાર પર હુમલો કરનાર આરોપી દેવાંગ પાટણવાડીયા કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ કાયદાના રક્ષકોને પડકારતો એક રીઢો ગુનેગાર છે. જે શખ્સ પર અગાઉ ભૂસ્તર વિભાગની કાર્યવાહી થઈ હોય અને મહિલા પર દુષ્કર્મ જેવા અત્યંત શરમજનક ગુનામાં સજા પણ થઈ ચૂકી હોય, તેવા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની અત્યાર સુધી ધરપકડ ન થવી તે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પર લપડાક સમાન છે. લોકશાહીના ચોથા સ્તંભને ડામવાની કોશિશ કરનારા આવા તત્વોને જો ખુલ્લેઆમ ફરવા દેવામાં આવશે, તો સમાજમાં ભયનું વાતાવરણ ઉભું થશે. પત્રકારોએ સ્પષ્ટ અને આકરા શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, માત્ર સામાન્ય ફરિયાદથી સંતોષ નહીં માનવામાં આવે; આ ખનીજ માફિયા અને ગુનેગાર સામે તાત્કાલિક પાસા હેઠળ કાર્યવાહી કરી તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. જો સત્તાવાળાઓ હજુ પણ આંખ આડા કાન કરશે, તો અન્યાય સામે લડત વધુ ઉગ્ર બનાવવાની પત્રકાર જગતે તૈયારી બતાવી છે.

પત્રકાર પર હુમલો એ લોકશાહીનું અપમાન, પત્રકાર આલમમાં ભારે આક્રોશ. : લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વ પર થયેલો આ હુમલો એ માત્ર એક વ્યક્તિ પર નહીં, પરંતુ અભિવ્યક્તિની આઝાદી અને સત્યના અવાજ પર કરવામાં આવેલો જીવલેણ પ્રહાર છે. ઝઘડિયામાં રેત માફિયાઓએ જે રીતે કલમના સંત્રીને નિશાન બનાવ્યો છે, તે સાબિત કરે છે કે ગુંડાતત્વોમાં હવે કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી. જ્યારે સમાજની બદીઓને ખુલ્લી પાડતા પત્રકારો જ સુરક્ષિત ન હોય, ત્યારે લોકશાહીના અસ્તિત્વ સામે ગંભીર જોખમ ઊભું થાય છે. સત્તા અને સંપત્તિના જોરે કાયદાને ખિસ્સામાં લઈને ફરતા આવા તત્વો સામે જો અત્યારે સખત હાથે કામ લેવામાં નહીં આવે, તો આવનારા સમયમાં કોઈ સત્ય બોલવાની હિંમત નહીં કરે. આ હીચકારું કૃત્ય લોકશાહીની ગરિમાને કલંકિત કરનારું છે અને પત્રકાર જગત આવા કાયરતાપૂર્ણ હુમલાઓથી ડર્યા વગર, અન્યાયી તત્વો સામે આખરી દમ સુધી લડવા માટે કટિબદ્ધ છે.

ગુંડાતત્વોને પોલીસનો ડર નથી? માફિયા રાજનો અંત ક્યારે? : ઝઘડિયામાં પત્રકાર પર થયેલો હુમલો એ સાબિત કરે છે કે હવે ગુંડાતત્વોને પોલીસ કે કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં એક પત્રકાર પર હિંસક હુમલો કરવાની હિંમત રેત માફિયાઓ ક્યાંથી લાવે છે? શું પોલીસની ઢીલી કામગીરી જ આ માફિયાઓને પ્રોત્સાહન આપી રહી છે? વર્ષોથી નર્મદાના પટમાં ચાલતું ગેરકાયદે ખનન અને પત્રકાર પર થયેલો આ પ્રહાર એ સત્તાધીશોની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે. જ્યારે એક રિઢો ગુનેગાર ધોળેદિવસે કલમના સંત્રી પર હાથ ઉપાડે અને કલાકો સુધી તેની ધરપકડ ન થાય, ત્યારે સામાન્ય જનતાએ સુરક્ષાની આશા કોની પાસે રાખવી? પત્રકાર આલમ આજે એક જ સવાલ પૂછી રહી છે કે, આ માફિયા રાજનો અંત ક્યારે આવશે? જો તંત્ર હજુ પણ મૌન રહેશે, તો એવું માનવું લાજમી છે કે માફિયાઓને શાસન અને પ્રશાસનનું છૂટું પીઠબળ મળી રહ્યું છે.
લોકશાહીની સુરક્ષાની વાતો વચ્ચે સૌથી મોટો અને વેધક સવાલ એ ઊભો થાય છે કે, પત્રકારોની સુરક્ષાનું શું? :ઝઘડિયાની ઘટનાએ સાબિત કરી દીધું છે કે જે પત્રકાર પ્રજાનો અવાજ બનીને માફિયાઓના કાળા કારનામા ઉઘાડા પાડે છે, તે જ આજે રક્ષણ વગરના અને અસુરક્ષિત છે. જ્યારે ભરબજારમાં કે સરકારી અધિકારીઓની હાજરીમાં પત્રકાર પર હુમલા થતા હોય, ત્યારે એ સ્પષ્ટ છે કે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ રહી ગયું છે. જો સત્તાવાળાઓ પત્રકારોને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહેશે, તો સત્યનો અવાજ કાયમ માટે દબાઈ જશે. માફિયાઓના આતંક સામે પત્રકારોને માત્ર આશ્વાસન નહીં, પણ મજબૂત સુરક્ષા કવચ અને હુમલાખોરો સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહીની જરૂર છે. શું તંત્ર કોઈ મોટી હોનારત કે પત્રકારની હત્યા થાય ત્યાં સુધીની રાહ જોઈ રહ્યું છે? પત્રકારોની સુરક્ષા એ માત્ર એક વ્યાવસાયિક માંગ નથી, પણ લોકશાહીને જીવંત રાખવા માટેની અનિવાર્ય શરત છે.
લોકશાહીના રક્ષકો જ જોખમમાં! માફિયાઓના આતંક સામે પત્રકારો માટે વિશેષ કાયદો ઘડવાની ઉગ્ર માંગ. : ઝઘડિયાની હીચકારી ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે માત્ર નિવેદનો કે આવેદનપત્રોથી પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તેમ નથી; હવે સમય પાકી ગયો છે કે ‘પત્રકાર સુરક્ષા કાયદો’ બનાવી પત્રકારોને કાયદાકીય કવચ પૂરું પાડવામાં આવે. જ્યારે ખનીજ માફિયાઓ જેવા તત્વો પત્રકારની કલમ અને તેના જીવ પર હુમલો કરવાની હિંમત કરતા હોય, ત્યારે આવા નરાધમોમાં કાયદાનો ખૌફ પેદા કરવા માટે વિશેષ કાયદો અનિવાર્ય છે. પત્રકારો સતત જોખમો વચ્ચે રહીને સમાજ અને તંત્રની આંખ ઉઘાડવાનું કામ કરે છે, છતાં તેમની સુરક્ષા બાબતે સરકારની ઉદાસીનતા ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. પત્રકાર જગતની સ્પષ્ટ માંગ છે કે જે રીતે ડોક્ટરો કે અન્ય સરકારી કર્મચારીઓ માટે વિશેષ સુરક્ષા કાયદા છે, તેવી જ રીતે પત્રકારો પર થતા હુમલાને બિનજામીનપાત્ર ગુનો ગણી આરોપીઓ વિરુદ્ધ ત્વરિત અને આકરી કાર્યવાહીની જોગવાઈ કરતો કાયદો અમલમાં મૂકવો જોઈએ. જો કલમના રક્ષકો જ સુરક્ષિત નહીં હોય, તો લોકશાહીના પાયા નબળા પડતા વાર નહીં લાગે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com