હિંદ મહાસાગરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ ગયું છે. શ્રીલંકાના દરિયાકાંઠા પાસે અમેરિકી સબમરીને ઈરાનના અત્યંત આધુનિક યુદ્ધજહાજ ડેનાને નિશાન બનાવી ડૂબાડી દેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ આ હુમલાને અમેરિકાનો જઘન્ય અત્યાચાર ગણાવી ખુલ્લી ચેતવણી આપી છે કે વોશિંગ્ટને આ આત્મઘાતી પગલા માટે ભારે કિંમત ચૂકવવી પડશે. ઈરાનનો દાવો છે કે આ હુમલો આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના વગર કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, આ જહાજ ભારતીય નૌસેનાના અતિથિ તરીકે આ વિસ્તારમાં હાજર હતું અને તેમાં અંદાજે ૧૩૦ જેટલા નાવિકો સવાર હતા. ઈરાની સરહદથી હજારો કિલોમીટર દૂર મધ્ય દરિયે થયેલી આ કાર્યવાહીને ઈરાને ઉશ્કેરણીજનક ગણાવી છે. આ હુમલા બાદ હવે હિંદ મહાસાગર વિસ્તારમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. બંને દેશો વચ્ચેની આ ટક્કર મધ્ય પૂર્વના દેશો સહિત વૈશ્વિક સુરક્ષા માટે જોખમ ઊભું કરી રહી છે, અને ઈરાન હવે અમેરિકા સામે વળતો પ્રહાર કરવા વ્યૂહરચના ઘડી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com