રાજ્ય સરકારના જનકલ્યાણકારી અભિગમને સાર્થક કરવાના હેતુથી આમોદ નગરપાલિકાના પટાંગણમાં ૧૧મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ વહીવટી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો દ્વારા પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. સરકારના આ સેવાયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કચેરીઓના ધક્કા ખાધા વગર પોતાની રજૂઆતો અને સરકારી યોજનાઓના લાભો એક જ છત નીચે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ શિબિરમાં નગરપાલિકાના વિવિધ વિભાગો સહિત અન્ય સરકારી કચેરીઓના ટેબલો કાર્યરત કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને આવક, જાતિના દાખલા અને રહેઠાણના પ્રમાણપત્રોની કામગીરી, PMJAY યોજના હેઠળ હેલ્થ ચેકઅપ અને આયુષ્માન કાર્ડ અંગેની કામગીરી, આધારકાર્ડ અપડેશન, જન્મ-મરણના પ્રમાણપત્રો અને નવા વીજ કનેક્શન માટેનું માર્ગદર્શન સહિત ગંગા સ્વરૂપ આર્થિક સહાય, નિરાધાર સહાય અને વૃદ્ધ વંદના યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ માટે ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ નાગરિકોની અરજીઓનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. અનેક કિસ્સાઓમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર જ ત્વરિત નિરાકરણ લાવીને તેમને રાહત આપવામાં આવી હતી. આમોદ નગરના બહોળી સંખ્યામાં લોકોએ આ તકનો લાભ લીધો હતો, જેના કારણે પાલિકાનું પટાંગણ લોકમેળા જેવું દ્રશ્ય રજૂ કરતું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સેવાસેતુ એ છેવાડાના માનવી સુધી શાસનની સુવિધાઓ પહોંચાડવાનું સબળ માધ્યમ બન્યું છે. વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના સંકલનથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023