ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લામાં લઘુમતી સમુદાયો વચ્ચે પોતાની પકડ વધુ મજબૂત કરવાના હેતુથી લઘુમતી મોરચાની નવી કાર્યકારિણીની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં ભાજપે ‘સર્વધર્મ સમભાવ’ની નીતિ અપનાવીને માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, પરંતુ ખ્રિસ્તી અને શીખ સમુદાયના પ્રતિનિધિઓને પણ મહત્વના હોદ્દાઓ સોંપ્યા છે. સંગઠનને તળિયા સ્તર સુધી વિસ્તૃત કરવાના લક્ષ્યાંક સાથે જાહેર કરાયેલી આ યાદીમાં સામાજિક સંતુલન જાળવવાનો વિશેષ પ્રયાસ દેખાઈ રહ્યો છે. નવી ટીમની રચનામાં પાંચ ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે, જેમાં પક્ષના પીઢ અને પાયાના કાર્યકર જાવેદ આદમ પટેલ પર ફરી એકવાર વિશ્વાસ મૂકી તેમને ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ છે. તેમની સાથે ખ્રિસ્તી સમાજમાંથી અશ્વિનભાઈ ખંભાતા અને શીખ સમુદાયમાંથી શાર્દુલ સિંગ સંધુને સ્થાન આપીને ભાજપે જિલ્લામાં સર્વસમાવેશી રાજકારણનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ ઉપરાંત, સંગઠનના વહીવટી અને પ્રચાર કાર્યોને વેગ આપવા માટે પાંચ મંત્રીઓ, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે.

આ નવનિયુક્ત ટીમ આગામી સમયમાં જિલ્લાના લઘુમતી વિસ્તારોમાં પક્ષનો જનાધાર વધારવા માટે કેટલાક મહત્વના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના લઘુમતી પરિવારો સુધી પહોંચાડવી, સમાજના વિવિધ વર્ગો સાથે સીધો સંપર્ક કરી તેમની સ્થાનિક સમસ્યાઓને પક્ષ અને સરકાર સુધી પહોંચાડવી, વિવિધ સમુદાયો વચ્ચે ભાઈચારો અને એકતા જાળવી રાખવા માટે કાર્યક્રમોનું આયોજન કરવું, આગામી ચૂંટણીઓમાં લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તારોમાં ભાજપના પક્ષમાં મતદાન વધારવા માટે કાર્યકરોને સજ્જ કરવા. અને ખાસ કરીને જાવેદ આદમ પટેલની પુનઃનિમણૂકને તેમના વર્ષોના અનુભવ અને લઘુમતી સમાજમાં તેમની મજબૂત પકડના ફળ સ્વરૂપે જોવામાં આવી રહી છે. પક્ષના અગ્રણીઓના મતે, આ નવી અને ઉત્સાહી ટીમ ભરૂચ જિલ્લામાં ભાજપના સંગઠનને નવી ઊંચાઈએ લઈ જવામાં અને લઘુમતી મોરચાને વધુ પ્રભાવશાળી બનાવવામાં સફળ રહેશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com