GVT અને કેલિબર કેમિકલ્સના સહયોગથી ૧૫૦ બહેનો બની સ્વરોજગાર માટે સજ્જ : ઔદ્યોગિક વિસ્તારમાં રોજગારીની તકો વધારવા અને સ્થાનિક પ્રતિભાઓને આજીવિકાના સાધનો પૂરા પાડવાના ઉમદા હેતુ સાથે ગંગેશ્વર મહાદેવ હોલ વાગરા ખાતે એક વિશેષ વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ અને કેલિબર કેમિકલ્સ એન્જિનિયરિંગ સાયખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાન અંતર્ગત આશરે 150 જેટલી બહેનો અને યુવાનોને આધુનિક સમયને અનુરૂપ વિવિધ ટ્રેડ્સમાં નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. આ તાલીમ વર્ગોમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની બહેનોને પગભર કરવા માટે બ્યુટી પાર્લર, ટેલરિંગ, જ્વેલરી મેકિંગ અને આજના ડિજિટલ યુગમાં અનિવાર્ય એવા કમ્પ્યુટર શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે તાલીમાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ પ્રાયોગિક તાલીમ આપીને સીધા જ રોજગાર બજારમાં પ્રવેશવા સક્ષમ બનાવવામાં આવ્યા છે.
વાગરામાં વ્યાવસાયિક તાલીમ મેળવી યુવાનો અને મહિલાઓ આત્મનિર્ભરતા તરફ અગ્રેસર: તાલીમ પૂર્ણ કરનાર ઉત્સાહી ઉમેદવારો માટે એક ભવ્ય પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે કુશળતા એ જ આજના સમયની સાચી મૂડી છે. તાલીમ મેળવનાર મહિલાઓ હવે પોતાના ઘરેથી જ સ્વરોજગાર શરૂ કરી આર્થિક રીતે સધ્ધર બની શકશે. ઉદ્યોગો અને સામાજિક સંસ્થાઓનું આ જોડાણ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું, કે અમારો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનો અને મહિલાઓને માત્ર તાલીમ આપવાનો જ નહીં, પરંતુ તેમને આત્મનિર્ભર બનાવી સમાજની મુખ્યધારામાં લાવવાનો છે. આગામી સમયમાં પણ કેલિબર કેમિકલ્સ અને જીવીટી દ્વારા સાયખા અને વાગરા પંથકમાં આવા વધુને વધુ સશક્તિકરણના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેથી છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચી શકે. આ કાર્યક્રમની સફળતાએ વાગરા પંથકમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કર્યો છે.
સેવા અને સમર્પણનો અવિરત પ્રવાહ, આગામી સમયમાં વધુ સશક્તિકરણના પ્રકલ્પો હાથ ધરાશે: કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ભવિષ્યના લક્ષ્યાંકો વિશે પણ આશાસ્પદ વિગતો રજૂ કરવામાં આવી હતી. GVT અને કેલિબર કેમિકલ્સ દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે આ તાલીમ માત્ર એક શરૂઆત છે. આગામી દિવસોમાં પણ ગ્રામીણ વિસ્તારના યુવાનો અને બહેનોના કૌશલ્ય વિકાસ અને ઉત્થાન માટે આવા અનેક સેવાલક્ષી કાર્યો તથા રોજગારલક્ષી પ્રોજેક્ટ્સ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. આ પ્રકારના રચનાત્મક કાર્યો થકી સમાજના છેવાડાના માનવી સુધી પ્રગતિના દ્વાર ખોલવાનો નિર્ધાર બંને સંસ્થાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com