આમોદ નગરના કાછીયાવાડ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે વૈશાખ વદ એકમના પાવન દિવસે મંદિરના સાતમા પાટોત્સવની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે ભગવાન લક્ષ્મીનારાયણને 56 ભોગનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે મોટી સંખ્યામાં આમોદ નગરજનો તેમજ સમાજના આગેવાનો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવની કથાનું શ્રવણ કર્યું હતું.
ખાસ કરીને કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજની ઉપસ્થિતિએ ધાર્મિક માહોલને વિશેષ ગરિમા બક્ષી હતી.લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ હસુભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ અને મનોજ પટેલ સહિતના આગેવાનોએ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજને ફૂલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
મહારાજશ્રીએ સૌ ભક્તોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આવા ધાર્મિક આયોજનો સમાજમાં સંસ્કૃતિ, એકતા અને સદ્ભાવના જળવાઈ રહે તેમાં મહત્વનું યોગદાન આપે છે.ત્યારબાદ પૂજ્ય મહારાજ સહિત સમાજના આગેવાનો અને મહેમાનોએ લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરી ધન્યતા અનુભવી હતી. અંતે ઉપસ્થિત સર્વેએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને ઉલ્લાસનો માહોલ છવાયો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023