જંબુસર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ચાલી રહેલી શિક્ષકોની અછતને પગલે આજે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નવી નિમણૂકો કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સમગ્ર તાલુકામાં અંદાજે ૧૬૩ જેટલા શિક્ષકોની ઘટ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. આ એક જ શિક્ષકને શિક્ષણની સાથે વહીવટી કામગીરી, સરકારી બેઠકો અને તાલીમમાં જવું પડતું હોવાથી ઘણીવાર શાળાઓ બંધ રાખવાની નોબત આવે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યું છે.

ગુણવત્તાસભર શિક્ષણના દાવાઓ વચ્ચે સર્જાયેલી આ વાસ્તવિક સ્થિતિ અંગે ગ્રામજનો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આગામી એક મહિનામાં શિક્ષકોની આ ઘટ દૂર કરવામાં નહીં આવે, તો વાલીઓ અને ગ્રામજનોને સાથે રાખીને શાળાઓને તાળાબંધી કરવા સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.


Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096