આમોદ: શહેરના વેપારીઓના હિતો માટે સતત સક્રિય રહેતા આમોદ નગર વેપારી એસોસિએશને આજે એક સાથે શુભેચ્છા અને શિકાયત બંનેનો ઘડો લઈને નગરપાલિકાનો સંપર્ક સાધ્યો હતો. એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદઅલી રાણા અને કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યાને પુષ્પગુચ્છ આપી નવા બોર્ડને આવકાર્યું હતું. પરંતુ આ ફૂલોની સાથે જ તેમણે શહેરના એવા અનેક મુદ્દાઓની લેખિત રજૂઆત કરી, જેના કારણે સામાન્ય નાગરિકો અને વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટો અને જ્વલંત મુદ્દો હતો—”ભૂગર્ભ ગટર વેરો.” અગાઉના શાસકો દ્વારા નગરજનો પર લાદવામાં આવેલો આ મસમોટો વેરો હાલમાં લોકોની કમ્મર તોડી રહ્યો છે. એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે આ ગેરવાજબી વેરો ઘટાડીને સીધો 500 રૂપિયા કરવામાં આવે, જેથી ઘર વસાવીને બેઠેલા મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રાહત મળે.
આ એકમાત્ર મુદ્દો ન હતો. એસોસિએશને શહેરની ઓળખ સમાન છતાં જર્જરિત થઈ ગયેલા ઐતિહાસિક ટાવરની મરામત, તિલક મેદાન પાસે સતત સર્જાતી ટ્રાફિકની જામ સમસ્યાનો કાયમી ઉકેલ, નવા શોપિંગ સેન્ટરને વિલંબ વિના ચાલુ કરાવવું, ચાર રસ્તા પર મંજૂર થયેલા પીકઅપ સ્ટેન્ડની કામગીરી ઝડપી બનાવવી, ગુજરાત ગેસ એજન્સીની ઓફિસ આમોદમાં જ કાર્યરત કરવી અને તિલક મેદાન ખાતેના જાહેર શૌચાલયની સુવિધામાં વધારો કરવા જેવા નાગરિકોના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓની રજૂઆત કરી હતી. ઉપરાંત, અગાઉ વધારવામાં આવેલા વેરાની વસૂલાત તાત્કાલિક સ્થગિત કરવાની માંગ પણ કરાઈ હતી. એસોસિએશને સ્પષ્ટ કર્યું કે વેપારી સમાજ હંમેશા વિકાસમાં સહયોગ આપશે, પરંતુ તેના બદલામાં જનતાનું આર્થિક શોષણ ન થાય તેની ખાતરી તંત્રએ કરવી જોઈએ.
નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષે વેપારીઓની તમામ રજૂઆતો ધ્યાનથી સાંભળીને સકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. હવે જોવાનું એ રહે છે કે આ ‘શુભેચ્છા મુલાકાત’ ખરેખર નગરના વિકાસમાં પરિણમે છે કે પછી ‘કાગળ પરની કામગીરી’ની જેમ આ ફાઇલો પણ ધૂળ ખાતી રહેશે. શહેરીજનોને હવે આશા છે કે નવું બોર્ડ ભૂગર્ભ ગટર વેરાના બોજ નીચે દબાયેલી જનતાને રાહત આપશે અને ટાવર જેવા ઐતિહાસિક વારસાને બચાવશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023