આમોદ તાલુકાના આછોદ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોના આક્ષેપ મુજબ, યોગ્ય સમજૂતી, પૂરતું વળતર અને ખેડૂતોની સંમતિ વિના કંપની દ્વારા કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. વિરોધ દરમિયાન ખેડૂતો અને કંપનીના પ્રતિનિધિઓ વચ્ચે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.
ખેડૂતોનું કહેવું હતું કે તેમની ખેતીની જમીન જ તેમની જીવનરેખા છે અને કોઈપણ કંપની કે તંત્ર તેમની મંજૂરી વિના જમીનનો ઉપયોગ કરી શકે નહીં. ખેડૂતો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે જમીન સંબંધિત અન્યાય કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ખેડૂતોના ઉગ્ર વિરોધને પગલે આખરે કંપની અને તંત્રને પાછળ હટવું પડ્યું હતું.
હાલ પૂરતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે અને ખેડૂતોને પોતાની રજૂઆત તથા ચર્ચા માટે બે થી ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં જમીન સંપાદન અને ખેડૂતોના હકોના મુદ્દે નવી ચર્ચા જગાવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023