આમોદ:૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આમોદની સ્વામિનારાયણ સ્કૂલના વિશાળ પટાંગણમાં તાલુકા વહીવટી તંત્ર દ્વારા સામુહિક યોગાસનનો કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે “સ્વસ્થ જીવન માટે યોગ” થીમને કેન્દ્રમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમમાં આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાયમા, મામલતદાર ડૉ. મયુર વરિયા અને તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોલીસ અને હોમગાર્ડના જવાનો, શિક્ષકો તથા તલાટીઓ સહિતના અનેક લોકોએ સામુહિક રીતે યોગાસન કર્યા હતા.
યોગ નિષ્ણાંત દિનેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષક દિલીપ પરમાર અને નટુભાઈ પરમારે ઉપસ્થિત લોકોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવી હતી. પ્રશિક્ષકોએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે સમજ આપી, દૈનિક જીવનમાં યોગને વણી લઈને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા હાજર સૌને પ્રેરણા આપી હતી.
નોંધનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વિશ્વભરમાં યોગને નવી ઓળખ મળી છે, જેના ભાગરૂપે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમ થકી આમોદમાં યોગ દ્વારા તંદુરસ્ત સમાજ નિર્માણનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023