ભરૂચ જિલ્લાના બહુપ્રતીક્ષિત દેણવા–ડોલીયા દરિયાઈ બ્રિજનું નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે, જેની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું સઘન નિરીક્ષણ કરવા જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સ્થળ પર પહોંચ્યા હતા, જેમના સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, બીજલ ભરવાડ અને સેમ માલી સહિતના પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હાલ બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને ધારાસભ્યએ ટૂંક સમયમાં આ બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવાની આશા વ્યક્ત કરી છે.
ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે, આ બ્રિજ કાર્યરત થવાથી પરિવહન અત્યંત સરળ બનશે, જેનાથી જંબુસરથી દહેજ અવરજવર કરતા કર્મચારીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓના સમય તથા ઇંધણની મોટી બચત થશે. વધુમાં, લાંબા અંતરની મુસાફરી ટૂંકી બનતા માર્ગ અકસ્માતોનું જોખમ પણ ઘટશે. સ્થાનિક લોકો પણ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થવાને લઈને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ બ્રિજ શરૂ થવાથી ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોને નવી વિકાસગતિ મળશે. દહેજ ઔદ્યોગિક વિસ્તાર સાથેનું જોડાણ સુલભ બનવાથી વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા મળશે. વર્ષોથી જે બ્રિજની લોકો રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવાના આરે હોવાથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023