આમોદ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રપ્રેમ અને માનવસેવાની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરાની ધ્વનિ બ્લડ બેન્કના સહયોગથી આમોદના લક્ષ્મીનારાયણ મંદિરે આયોજિત આ કેમ્પ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.
કાર્યક્રમની શરૂઆત ભારત માતા તેમજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય અને લક્ષ્મીનારાયણ ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ સમગ્ર કેમ્પનું આયોજન ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ મયંક પટેલના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું, જેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી હતી. રક્તદાતાઓના ઉત્સાહને પગલે “રક્તદાન એ મહાદાન”નો સંદેશ આ કેમ્પ દરમિયાન સાર્થક થયો હતો.
આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ અને ભાવિક પટેલ, મંત્રી સ્નેહા પરમાર, ભરૂચ જિલ્લા મહિલા મોરચાના મંત્રી મનીષા પટેલ, આદિવાસી મોરચાના જિલ્લા મંત્રી સતિષ વસાવા તેમજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ગીતા પટેલ સહિત ભાજપના અન્ય ચૂંટાયેલા સભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023