આમોદ તાલુકા પંચાયત ખાતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ, ધમણાદ દ્વારા ભારતીય દેશી ગાયના મહિમા અને પંચગવ્ય ચિકિત્સા વિષયક એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતો, ગૌપ્રેમીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય દેશી ગાય માત્ર આસ્થાનું પ્રતિક નથી, પરંતુ માનવ સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ અને આત્મનિર્ભર ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું મુખ્ય આધારસ્તંભ છે. ગૌમાતાના મહિમાને આધુનિક વિજ્ઞાન સાથે સાંકળીને પંચગવ્ય ચિકિત્સા, ગૌમૂત્ર અર્કના વિવિધ ઉપયોગો તથા ગાયના દૂધ, ઘી અને દહીંના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ કુદરતી ખેતી અને રાસાયણિક મુક્ત જીવનશૈલી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
વક્તાઓએ વધુમાં જણાવ્યું હતું કે ગૌસંવર્ધન એ આગામી પેઢીને સ્વસ્થ અને સ્વાવલંબી સમાજ તરફ દોરી જતું રાષ્ટ્રીય કાર્ય છે. ઉપસ્થિતોએ આ લોકજાગૃતિ અભિયાનને સરાહનીય ગણાવ્યું હતું અને ગૌસેવા તથા ગૌઉત્પાદનોના ઉપયોગ પ્રત્યે જાગૃત બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ટ્રસ્ટ દ્વારા તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023