રાજસ્થાનના પવિત્ર તીર્થસ્થાન સમાન વિશ્વ વિખ્યાત અજમેર શરીફ દરગાહ ખાતે મેઘરાજાની હેલી અને ધોધમાર વરસાદ વચ્ચે હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની ‘છઠ્ઠી શરીફ’નો મુબારક અવસર અદભુત શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.
આકાશમાંથી વરસી રહેલા ભારે વરસાદ અને કુદરતી પ્રતિકૂળતાઓની પરવા કર્યા વગર દેશ-વિદેશમાંથી ઉમટી પડેલા હજારો અકીદતમંદો અને શ્રદ્ધાળુઓના મન મક્કમ ઇરાદા તથા અતૂટ આસ્થા જરાય ડગ્યા નહોતા. દરગાહ પરિસરમાં ગુંજતા “યા ગરીબ નવાઝ” ના નારાઓ, સૂફી કલામો અને દરૂદ-ઓ-સલામના પવિત્ર અવાજો વચ્ચે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને દિવ્ય રંગમાં રંગાઈ ગયું હતું, જ્યાં દરેક શ્રદ્ધાળુએ ખ્વાજા સાહેબના દરબારમાં અદબ પૂર્વક ફૂલ અને ચાદર અર્પણ કરી પોતાની મુરાદો માંગી હતી.
આ પવિત્ર પર્વ નિમિત્તે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ સહિત તમામ ધર્મોના લોકોએ કોઈ જ ભેદભાવ વિના હાજરી આપીને દેશભરમાં અમન, શાંતિ, સુખ-સમૃદ્ધિ તથા ભાઈચારો જળવાઈ રહે તે માટે દિલથી વિશેષ દુઆઓ માંગી હતી, જે અજમેર શરીફની ગંગા-જમુની સંસ્કૃતિ અને સર્વધર્મ સમભાવના જીવંત સંદેશને વધુ મજબૂત બનાવે છે.
દરગાહ કમિટીએ આજના આ ખાસ અવસરે શ્રદ્ધાળુઓ માટે ભવ્ય નિયાજનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સેવાભાવીઓની આગેવાનીમાં હજારો લોકોએ એક પંક્તિમાં બેસીને અતિ આદરપૂર્વક નિયાજ ગ્રહણ કરી હતી. ભીની ધરા પર ભક્તોનો અવિરત પ્રવાહ અને આ અલૌકિક ઉજવણીએ કોમી એકતા તથા સૂફીયતની લાક્ષણિક મહેકને સમગ્ર દેશમાં વધુ એકવાર અખંડિત રૂપે પ્રસારિત કરી દીધી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com