નહાવા ગયા, પરંતુ પરત ન ફર્યા… કેશવાણ તળાવે ૫૦ વર્ષીય આધેડનો જીવ લીધો! વાગરા તાલુકાના કેશવાણ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની નવીનગરી વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય સુરેશભાઈ ઉર્ફે ગડબડ ચંદુભાઈ રાઠોડનું તળાવમાં નહાવા દરમિયાન ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર ગામને શોકમગ્ન કરી દીધું છે. અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ, સુરેશભાઈ ગામના તળાવમાં નહાવા માટે ગયા હતા. પરંતુ કોને ખબર હતી કે આ તેમની જિંદગીની અંતિમ સફર સાબિત થશે. નહાવા દરમિયાન અચાનક તેઓ તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોને જાણ થતાં જ બચાવ માટે દોડધામ શરૂ થઈ હતી, પરંતુ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ તેમનું કરૂણ મોત થઈ ચૂક્યું હતું.
હસતો પરિવાર પળવારમાં શોકમાં ગરકાવ, કેશવાણ તળાવમાં આધેડનું દુઃખદ મોત! ઘટનાની જાણ થતાં જ તળાવ કિનારે ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આંખો સામે બનેલી આ દુર્ઘટનાથી લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવાર માટે તો આ આઘાત સહન કરવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. એક હસતું-ખેલતું પરિવાર અચાનક જ પોતાના સ્વજનને ગુમાવી બેઠું છે. આ બનાવ અંગે મૃતકના પત્ની શારદાબેન સુરેશભાઈ ઉર્ફે ગડબડ ચંદુભાઈ રાઠોડે વાગરા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઘટનાની તપાસ હાથ ધરી છે. કેશવાણ ગામમાં આ કરૂણ ઘટનાને પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે. અને ગ્રામજનોએ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com