સો ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામથી વિદાય લેતાં હિન્દુ શિક્ષિકા ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા. તેમણે ક્યારેય એવુ નથી અનુભવ્યુ કે, હું જુદા ધર્મના લોકો સાથે રહુ છુ તો કોઈ પ્રકારની અગવડતા કે ભેદભાવ વેઠવો પડે છે. પોતાની પાસે આવો કોઈ કડવો અનુભવ નથી.
કોમી એકતા અને માનવતાનું એક અદ્ભુત અને ભાવુક ઉદાહરણ કચ્છના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવ્યું છે. ભૂજથી ૮૦ કિ.મી.ના અંતરે નખત્રાણા તાલુકામાં આવેલ રણ વિસ્તારના અંતરિયાળ વિસ્તારનું એક ગામ, વઝીરા વાંઢ નો આ દાખલો છે. ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તનુજાબેનની બદલી થતાં જ્યારે ગામમાંથી વિદાય આપવામાં આવી તો તે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા હતા.
સો ટકા જાટ-મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરા વાંઢમાં છેલ્લા ૧૨ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા મૂળ સુરત જિલ્લાના તનુજાબેન ચૌધરીને જિલ્લા ફેર બદલીનો લાભ મળતા તેમની બદલી સુરત જિલ્લામાં તેમના મૂળ ગામ નજીક થઈ હતી. ઉલ્લેખનીય છે કે, એક મહિલાને વતનથી આટલે દૂર નોકરી કરવાની મજબૂરી સરકાર નાં ધ્યાને 12 વર્ષ સુધી નથી આવી. જોકે ગામના મુસ્લિમોએ તેમને વતનની ખોટ સાલવા દીધી નથી.
12 વર્ષ ના વનવાસની માફક એક હિન્દુ શિક્ષિકાની વતનમાં બદલી થાય છે. આ પ્રસંગે શાળામાં યોજાયેલ વિદાય સમારંભમાં તનુજાબેન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડ્યા હતા. અત્યંત ભાવુક અંદાજમાં તનુજાબેહેને કહ્યું કે, “જ્યારે કચ્છ ના અંતરિયાળ અજાણ્યા વિસ્તારમાં ૨૦૧૪માં આવી ત્યારે મને લાગતું હતું કે અહીં કેવી રીતે દિવસો વિતશે.
અહીંયાના મુસ્લિમ ભાઈઓએ મને બહેન અને દીકરી તરીકે રાખ્યા છે. અહીં મહિલાઓએ મને બહેન અને માતા જેવો પ્રેમ આપ્યો છે. તેમણે અનુભવ્યું કે 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામના બધા મુસ્લિમો તેના પરિવારજનો જેવા જ લાગ્યા. વિદાય સમારંભમાં શિક્ષિકા તનુજાબહેન ને પણ અહીંથી વિદાય લેવી અઘરી પડી ગઈ. જાણે કે, તેમનું ઘર, વતન છોડી રહ્યા હોય. શિક્ષિકા બહેન વઝીરા વાંઢ ના મુસ્લિમોથી વિદાય લેતા ભાવુક બની ગયા લાગણીઓ કાબુમા રાખી ન શકતા રડી પડ્યા. તેમની સાથે ગામના વડીલો રડી પણ પડ્યા. જાણે કે દીકરીને વિદાય આપતા હોય. તેઓ શિક્ષિકાના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. હિમ્મત આપી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com