જંબુસર તાલુકાના કહાનવા ગામે તલાવડીના પાણીમાંથી એક મહિલાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાની ઓળખ કહાનવા ગામના જ વતની કાન્તાબેન ઠાકોરભાઈ પઢીયાર તરીકે થઈ છે, જેઓ માનસિક રીતે અસ્થિર હોવા સાથે ગત ૫મી તારીખથી પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગયા હતા. ગામની સીમમાં આવેલી તલાવડીમાં મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને આ કરુણ બનાવને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર કહાનવા ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટના અંગે ત્વરિત જાણ કરવામાં આવતાં જ વેડચ પોલીસ સ્ટેશનનો કાફલો ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખીને તાબડતોબ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સ્થાનિકો અને ફાયર ટીમની મદદથી તલાવડીમાંથી પાણીમાં ડૂબેલી મહિલાના મૃતદેહને બહાર કાઢી કબજો મેળવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મહિલા તલાવડી સુધી કેવી રીતે પહોંચી અને અકસ્માતે પાણીમાં પડી જવાથી મોત નીપજ્યું કે પછી અન્ય કોઈ કારણ છે, તે દિશામાં વેડચ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com