અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી ખાતે પ્રજાહિતના અભિગમ સાથે ત્રિનેત્ર આઈ સેન્ટરના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક જરૂરિયાતમંદ નાગરિકોને ઘરઆંગણે જ આંખની વિવિધ બીમારીઓનું સચોટ નિદાન અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આયોજિત આ કેમ્પનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંકલેશ્વર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને નિઃશુલ્ક સારવાર સેવાઓનો લાભ લીધો હતો.
આ કેમ્પ દરમિયાન ત્રિનેત્ર આઈ સેન્ટરના જાણીતા નેત્ર નિષ્ણાંત ડો. તૃપ્તિ ગુપ્તા તેમજ મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના તબીબ ડો. દિવ્યેશ ઝીનઝાલાએ દર્દીઓની ગંભીરતાપૂર્વક તપાસ કરી સેવાઓ આપી હતી. તબીબો દ્વારા આંખના પડદાને લગતા જટિલ રોગો, ઝામરનું ચોક્કસ નિદાન તેમજ મોતિયા અને કિકીની સારવાર અંગે અત્યાધુનિક સાધનો વડે સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ ઉમદા કાર્યક્રમ પ્રસંગે ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દિક્ષિતાબેન રાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, સેનેટરી ચેરમેન નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરીના કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com