જસદણના વિંછીયા રોડ પર આવેલા જલારામ જીનીંગ નજીક મોડી રાત્રે એક અત્યંત કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ડિવાઈડર સાથે ભયાનક રીતે અથડાતાં એક ઉચ્ચ અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીને નિજ ધામ પરત ફરી રહેલા વેરાવળ-સોમનાથ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સંજયભાઈ વડાળીયાની કારને મોડી રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યાના સુમારે અકસ્માત નડ્યો હતો. કાર પરનો કાબૂ ગુમાવતાં વાહન ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું, જેમાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે નાયબ મામલતદારનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ જસદણ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ધાર્મિક સ્થળે દર્શન કરીને પરત ફરતી વખતે કાળજી વગરના અકસ્માતે એક નિષ્ઠાવાન અધિકારીનો ભોગ લેતાં સરકારી આલમ અને મૃતકના પરિવારમાં અરેરાટી સાથે મોટો શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અંગે જસદણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com