દેશભક્તિના રંગે રંગાયેલા ધોરાજી શહેરમાં આગામી 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની 100 વર્ષથી વધુ જૂની મદ્રેસા-એ-મીસકીનીયાહ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સંસ્થાના ગ્રાઉન્ડ ખાતે 15 ઓગસ્ટના રોજ સવારે 9:10 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. મેમન સમાજના અગ્રણી ઇમ્તિયાઝભાઈ અ. ગફાર સુપેડીવાલાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રીય ગીતો સાથે દેશની આઝાદી માટે શહીદી વહોરનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની અમર શહાદતને યાદ કરવામાં આવશે. ધ્વજવંદન બાદ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવશે. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ અફરોઝભાઈ લકડકુટા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવશે. કાર્યક્રમને લઈને સંસ્થાના બાળકો દ્વારા સમગ્ર પરિસરને સુંદર શણગારથી સજાવવામાં આવ્યું છે, જેના કારણે સંસ્થામાં દેશભક્તિનો માહોલ છવાયો છે.
સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મૌલાના નવાઝ સાહેબ તેમજ સમગ્ર શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વ માત્ર એક ઉજવણી નહીં પરંતુ દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોના સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ બની રહે તેવા ભાવ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ અફરોઝ લકડકુટા, ઉપપ્રમુખ સીરાજ ધાયા, સેક્રેટરી બાશીત પાનવાલા, જોઈન્ટ સેક્રેટરી રફીક તુમ્બી સહિત સમગ્ર ટ્રસ્ટ મંડળ દ્વારા કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે. હર કરમ અપના કરેંગે એ વતન તેરે લિયે, દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયેના દેશભક્તિના સંદેશ સાથે ધોરાજીની આ ઐતિહાસિક સંસ્થા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com