ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલી જાણીતી દરગાહ ખાતે સુફી સંત હજરત પીર ખોજનદિશા બાવાના વાર્ષિક ઉર્ષની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગના ભાગરૂપે યોજાયેલા સંદલ શરીફની વિધિમાં કાયદો-વ્યવસ્થા અને કોમી સૌહાર્દ જાળવીને સમગ્ર કાર્યક્રમ સાદાઈપૂર્વક અને મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.
સંદલ શરીફનો જુલૂસ નબીપુરના દાવલશા સ્ટ્રીટથી નીકળીને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને દરગાહ સંકુલ ખાતે પહોંચ્યો હતો. આ પ્રસંગે શીનોરના અતિથિ વિશેષ સમસાદબાવા, પેટલાદવાળા બાવા, નબીપુર જુમ્મા મસ્જિદના પેશ ઈમામ તેમજ આમંત્રિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક ભેદભાવ ભૂલીને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સંદલ શરીફની વિધિના અંતે વિશેષ દુઆઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ, અમન, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વિધિ પૂર્ણ થયા બાદ દરગાહ સંકુલ ખાતે મહેફિલે શમા (કવ્વાલી) નો સુફિયાના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તોનું મોટું જનમેદની ઉમટી પડ્યું હતું. શાંતિપૂર્ણ અને ધાર્મિક મર્યાદા સાથે યોજાયેલા આ પ્રસંગથી સમગ્ર પંથકમાં સર્વધર્મ સમભાવ અને હિન્દુ-મુસ્લિમ એકતાનો દ્રઢ સંદેશો પહોંચ્યો છે.
સલીમ કડુજી, નબીપુર
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com