Skip to main content

Geo Gujarat News

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેશે, ૯૫% ભેજ અને તેજ પવનની આગાહી વચ્ચે ખેતીપાક બચાવવા કૃષિ નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ..

હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી ૧૨ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ સતત જળવાઈ રહેશે. નર્મદા જિલ્લામાં શરૂઆતના દિવસોમાં અતિભારે વરસાદ વરસ્યા બાદ મધ્યમથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ અંદાજે ૩ ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં ૯૫ ટકા જેટલો જંગી ભેજ રહેવાની સાથે ૧૩ થી ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બદલાતા હવામાન અને વાદળછાયા વાતાવરણને પગલે ખેતીપાકને સંભવિત નુકસાનથી બચાવવા માટે કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખાસ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે.હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ નિષ્ણાતોએ વાવેતર બચાવવા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ભારે ભેજ અને વરસાદને લીધે નવા વાવેલા ખરીફ પાકોના ખેતરોમાંથી વધારાના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે જેથી મૂળનો સડો અટકાવી શકાય. હવામાં મહત્તમ ભેજ હોવાથી પાકને વધારાનું પિયત આપવું નહીં અને વરસાદમાં દવા ધોવાઈ જતી હોવાથી હાલ કીટનાશકોનો છંટકાવ બંધ રાખવો. તેજ પવનથી કપાસ અને મકાઈ જેવા પાકોને રક્ષણ આપવા થડમાં માટી ચઢાવી પાળા બાંધવા તેમજ નવા વાવેલા આંબા, કેળ અને પપૈયાના છોડને લાકડાના ટેકા આપવા હિતાવહ છે. વધુમાં, ભેજવાળા વાતાવરણમાં ફૂગજન્ય રોગો અને ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધતો હોવાથી પાકનું સતત નિરીક્ષણ કરી વરસાદ ઉઘાડ નીકળે ત્યારે તાત્કાલિક નિંદામણ કરવાની સલાહ આપવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!