અંકલેશ્વર GIDC સ્થિત ઉદ્યોગ મંડળ ઓડિટોરિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ઔદ્યોગિક વિકાસ, મહિલા સશક્તિકરણ અને કાયદો-વ્યવસ્થાને સાંકળતો ત્રિવિધ મહાકાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના વરદહસ્તે ઔદ્યોગિક વસાહતોમાં રૂ. ૪૮૨ કરોડના કુલ ૧૦ જેટલા વિરાટ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વરમાં નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ તેમજ જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની મહત્વાકાંક્ષી પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે. સંઘવીએ ઉદ્યોગકારોને ખાતરી આપતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ખોટી હેરાનગતિના કિસ્સામાં સીધી વડી કચેરીએ રજૂઆત કરવી, કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ પણ સમાધાન કરવામાં આવશે નહીં.
આ જ મંચ પરથી ભરૂચ જિલ્લા પોલીસની પ્રશંસનીય પહેલ ‘પ્રોજેક્ટ અસ્મિતા’નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ ભરૂચના ૧૫ ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ૫૨૬ મહિલાઓને રોજગારી પૂરી પાડીને તેમના હાથમાં નિમણૂકપત્રો સોંપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો અરુણસિંહ રણા અને ડી.કે. સ્વામી, કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com