દિલ્હીની રાજનીતિમાં આજે ભારે ભુકંપ સર્જાયો છે. ભ્રષ્ટાચાર નિરોધક શાખા એ દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડર કૌભાંડમાં આકરા ચાર્જ સાથે મોટો સપાટો બોલાવ્યો છે. તપાસ એજન્સીએ દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈન તેમજ દિલ્હી જલ બોર્ડના પૂર્વ CEO અને IAS અધિકારી ઉદિત પ્રકાશ રાય સહિત કુલ ૬ હાઇપ્રોફાઇલ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મંગળવારે કરાયેલી આ આકરી કાર્યવાહીથી ભ્રષ્ટાચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં બોર્ડના પૂર્વ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ, એનએન એન્ટરપ્રાઈઝિસના પ્રોપ્રાઈટર નાગેન્દ્ર યાદવ, યુરોટેક એન્વાયરન્મેન્ટના માલિક રાજા કુમાર કુર્રા અને સૃજનહારના પ્રોપ્રાઈટર પંકજ વર્માનો સમાવેશ થાય છે. આ મામલે ૧૧ મે ૨૦૨૪ના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો.
વિજિલન્સ ડિરેક્ટોરેટની ફરિયાદ બાદ હાથ ધરાયેલી સઘન તપાસમાં બહાર આવ્યું છે કે, ચોક્કસ ખાનગી કંપની ‘યુરોટેક એન્વાયરન્મેન્ટ’ને અન્યાયી લાભ પહોંચાડવા માટે ટેન્ડરની શરતોમાં મોટાપાયે હેરાફેરી કરી સ્વસ્થ સ્પર્ધાનો જ છેદ ઉડાડી દેવાયો હતો. એજન્સીના નાણાકીય ઓડિટમાં ધડાકો થયો છે કે તત્કાલીન CEO ઉદિત પ્રકાશ રાય અને તેમના સંબંધીઓના ખાતાઓમાં બોગસ ફર્મ્સ મારફતે ૧.૫૨ કરોડની લાંચ ટ્રાન્સફર કરી મિલકતો વસાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ ED એ પણ ડિસેમ્બર ૨૦૨૫માં આ કૌભાંડમાં ૧૭.૭૦ કરોડની ગુનાહિત કમાણીનો ખુલાસો કર્યો હતો. બીજી તરફ, આ ધરપકડ બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે; આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ઢાંડાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ ‘આપ’થી ડરી ગઈ છે અને જૈનને જેલમાંથી ખોટી રીતે ફસાવીને પંજાબના રાજકારણથી દૂર રાખવાના રાજકીય ષડયંત્રના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com