ભરૂચ તાલુકાના મનુબર ગામમાં રાત્રિના ઘોર અંધારામાં તસ્કરોની સશસ્ત્ર ટોળકીએ આતંક મચાવીને કાયદો અને વ્યવસ્થાના ધિષ્ટાંત ઉડાવી દીધા છે. મનુબર સ્થિત આફરીન એપાર્ટમેન્ટમાં આવેલી એક દુકાનના ગલ્લા તોડીને તસ્કરો ૪૦,૦૦૦ ની રોકડ રકમ ચોરીને સહેલાઈથી ફરાર થઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.
ચોરીની આ ગંભીર વારદાત બાદ સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતાં ૮ થી વધુ શંકાસ્પદ બુકાનીધારી ચડી-ચોરોની ટોળકી કેદ થઈ હતી. મોઢે રૂમાલ બાંધી, હાથમાં ચપ્પલ પકડીને ઘરો પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરતી આ ભયાનક ટોળકીના દૃશ્યો સામે આવતાં પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં ભયનું મોજું ફરી વળ્યું છે.
તસ્કરોની ધાડથી નાગરિકોમાં એટલી હદે ફાફડાટ છે કે રાત્રિના સમયે પોતાના જ ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ભયભીત સ્થાનિકોએ સણસણતો સવાલ ઉઠાવ્યો છે કે જો રાત્રે કોઈ નિર્દોષ નાગરિક આ હિંસક તસ્કરો સામે આવી જાય અને કોઈ અનિચ્છનીય દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની? જાગૃત રહીશોએ સીસીટીવી ફૂટેજ ભરૂચ તાલુકા પોલીસને સુપરત કરીને તાત્કાલિક ધોરણે નાઈટ પેટ્રોલિંગ સઘન કરવાની અને રખડતી ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલવાની આકરી માંગ કરી છે. હવે પોલીસ આ તસ્કર ટોળકીનો ખેલ ક્યારે ખતમ કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com