ઝેરી દારૂના હોબાળા વચ્ચે વાગરામાં કોંગ્રેસ-આપ કેમ ઘૂંટણિયે? વિરોધ પક્ષની શંકાસ્પદ શાંતિ પર પ્રજાનો આક્રોશ! સમગ્ર ગુજરાતમાં ભાવનગરના કઠિત લઠ્ઠાકાંડને લઈને વિરોધનો વંટોળ ઊઠ્યો છે અને જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચ શહેર, આમોદ સહિત રાજ્યના ખૂણે-ખૂણે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સરકાર સામે આક્રમક વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે અને આવેદનપત્રો આપીને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ વાગરા પંથકનું વિરોધ પક્ષનું રાજકારણ ઘોર નિંદ્રામાં હોય તેમ સંપૂર્ણપણે મૌન ધારણ કરીને બેસી ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વાગરામાં કોંગ્રેસ કે ‘આપ’ સહિતના કોઈ પણ વિપક્ષી પક્ષ દ્વારા એક પણ નાની સરખી પ્રતિક્રિયા કે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું નથી. આ સમગ્ર મુદ્દે વાગરાના વિરોધ પક્ષે સાધેલી ભેદી ચૂપકીદીને કારણે હવે સ્થાનિક પ્રજા અને રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની લોકચર્ચાઓ અને તર્ક-વિતર્કોએ જોર પકડ્યું છે.
વાગરાનો વિરોધ પક્ષ જનતા માટે કે શાસકોના રક્ષણ માટે લઠ્ઠાકાંડ મુદ્દે ગાયબ નેતાઓ સામે લોકઆક્રોશનો જ્વાળામુખી! વાગરા પંથકમાં ચર્ચાતી વાતો મુજબ, જ્યારે અન્ય તાલુકાઓ અને જિલ્લાઓમાં વિરોધ પક્ષો જનહિત માટે રસ્તા પર ઉતરીને સરકારને ઘેરી રહ્યા છે, ત્યારે વાગરાનો વિરોધ પક્ષ આટલા ગંભીર મુદ્દે પણ કેમ મૌન સેવી રહ્યો છે? શું વાગરાના વિપક્ષી નેતાઓ જનતાના આક્રોશ અને સંવેદનાઓથી સાવ અજાણ છે, કે પછી આ મૌન પાછળ શાસક પક્ષ સાથેનું કોઈ અંદરખાનેનું રાજકીય સેટિંગ જવાબદાર છે? રાજ્યમાં દારૂબંધીના કડક અમલીકરણ અને નિર્દોષ લોકોના જીવ લેતા ઝેરી દારૂના કારોબાર સામે અવાજ ઉઠાવવામાં વાગરાનું નેતૃત્વ સાવ નિષ્ફળ અને નબળું સાબિત થઈ રહ્યું છે. આ નિષ્ક્રિયતાને કારણે માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ વિપક્ષી પક્ષોના પોતાના પાયાના કાર્યકરોમાં પણ ભારે નિરાશા અને અસંતોષની લાગણી જન્મી છે. જો આવનારા દિવસોમાં વાગરાનો વિરોધ પક્ષ પોતાની આ ઘોર નિંદ્રામાંથી જાગીને જનતાનો અવાજ નહીં બને, તો પ્રજાકીય આક્રોશનો સામનો કરવા તેમણે તૈયાર રહેવું પડશે.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com