ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષમાં નવું જોમ પૂરવા અને જમીની સ્તરથી સંગઠનને આક્રમક બનાવવા માટે ગુજરાત કોંગ્રેસે બળવાખોર તથા નિષ્ક્રિય નેતાઓ સામે આકરું વલણ અપનાવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્તરે કથળતા પ્રદર્શન અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે દિલ્હી હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે આઠથી નવ જેટલા જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરીને નવા તથા યુવા ચહેરાઓને તક આપવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રદેશ નેતાગીરી દ્વારા તૈયાર કરવામાં આવેલા આંતરિક મૂલ્યાંકન રિપોર્ટ બાદ મોવડીમંડળ એક્શન મોડમાં આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે પાયાના કાર્યકરોને સક્રિય કરવાના હેતુથી ‘સંગઠન સૃજન અભિયાન’ હેઠળ અગાઉ વિવિધ પ્રમુખોની તાજપોશી કરવામાં આવી હતી, પરંતુ આ પ્રયોગ જમીની સ્તરે અપેક્ષિત પરિણામો આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યો છે. તાલુકા, જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પાછળ આંતરિક જૂથબંધી, ટિકિટ વિતરણમાં ગેરરીતિ અને વફાદાર કાર્યકરોની ઉપેક્ષા મુખ્ય કારણો રહ્યા છે. પ્રદેશ નેતાગીરીએ તમામ પ્રમુખોની કામગીરીનો ‘કાચો ચિઠ્ઠો’ તૈયાર કરી લીધો છે અને પક્ષને નુકસાન પહોંચાડનારા નિષ્ક્રિય પ્રમુખોને ઘરભેગા કરીને ગમે ત્યારે નવું સંગઠનાત્મક માળખું જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com