પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પવિત્ર જન્મદિન ઈદ-એ-મિલાદુન્નબીના મુબારક પ્રસંગે આમોદ ખાતે કોમી એકતા અને માનવસેવાની એક અજોડ મિસાલ કાયમ થઈ છે. સૈયદ શેરઅલી બુખારી અને તેમની આયોજક ટીમ દ્વારા આમોદના ઐતિહાસિક દરબારી હોલ ખાતે યુનિટી બ્લડ સેન્ટરના વિશેષ સહયોગથી એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
બપોરે ૨:૦૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમિયાન યોજાયેલા આ રક્તદાન મહાયજ્ઞમાં આમોદના નવજવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘પ્રેમ ફેલાવો, માનવતા બચાવો’ના ઉત્કૃષ્ટ પયગામ સાથે ૧૫૦ થી પણ વધુ સ્થાનિક યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કરી ઈમરજન્સીમાં દર્દીઓની જિંદગી બચાવવા માટે રક્તનો મોટો જથ્થો એકઠો કર્યો હતો.
આ માનવસેવાના ભગીરથ કાર્યને બિરદાવતાં યુનિટી બ્લડ બેંકના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશ પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આમોદ કે આસપાસના સમગ્ર વિસ્તારમાંથી કોઈપણ જાતિ, ધર્મ કે વર્ગના દર્દીને રક્તની અત્યંત જરૂરિયાત ઊભી થશે, તો યુનિટી બ્લડ બેંક (ભરૂચ), જીવન જ્યોત બ્લડ બેંક (વડોદરા) તેમજ જીવન જ્યોત બ્લડ બેંક (સુરત) ના ત્રિજડ સહયોગથી ૨૪ કલાક તાત્કાલિક સેવા પૂરી પાડવામાં આવશે.
જરૂરિયાતમંદ દર્દીઓના સગા-સંબંધીઓ કમલેશ પટેલ મોબાઈલ નંબર: ૯૫૩૭૯૭૫૪૪૬ નો સીધો સંપર્ક સાધી શકશે. આયોજક સૈયદ શેરઅલી બુખારી અને તેમની ટીમે આ રક્તદાન શિબિરમાં સહભાગી થનાર તમામ યુવા રક્તદાતાઓ અને આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને દુઆ અદા કરી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023