નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બીતાડા ગામના ૨૫ વર્ષીય યુવકનું રક્ષાબંધનના દિવસે માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. નિલેશભાઈ ભરતભાઈ વસાવા સાંજના સમયે પોતાના કામકાજ અર્થે બાઈક લઈને અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન નેત્રંગ-અંકલેશ્વર રોડ પર મોદલીયા-પઠારગામના વળાંક નજીક બાઈક પરથી તેમનો કાબૂ અચાનક ગુમાવતા બાઈક રોડની બાજુમાં આવેલા પીપળાના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્મતમાં નિલેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પગમાં પણ ફ્રેક્ચર થયું હતું. અકસ્માત બાદ એક અજાણ્યા રાહદારીએ મૃતકના મોટાભાઈ કલ્પેશકુમાર વસાવાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચ્યા ત્યારે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને વાલિયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં કલ્પેશકુમાર વસાવાએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે યુવાનના અકાળે મોતથી બીતાડા ગામ અને પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com