અંકલેશ્વરમાં માસુમ સગીરાની લાજ લૂંટવાના સનસનાટીભર્યા પ્રકરણમાં ભરૂચ સ્પેશિયલ પોક્સો કોર્ટે હિમાયતી ચુકાદો આપી કાયદાનું શાસન પ્રસ્થાપિત કર્યું છે. ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ આરોપી વિજયે સગીરાને લલચાવી-ફોસલાવી પોતાના ઘરના ધાબા પર બોલાવી હતી અને તેની મરજી વિરુદ્ધ બળજબરીથી કાળું કૃત્ય આચર્યું હતું. જોકે, ઘટનાસ્થળે જ સગીરાના માતા-પિતા આવી પહોંચતાં નરાધમ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને જેલભેગો કર્યો હતો.
કોર્ટમાં ચાલેલા આ સંવેદનશીલ કેસ દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે ૧૩ મૌખિક સાક્ષીઓ અને ૪૭ જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓની ધારદાર રજૂઆત કરી હતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.પી. રાહતકરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સરકારી પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને ૨૦ વર્ષની અત્યંત સખત કેદ અને ૫૦ હજારના દંડની સજા સંભળાવી છે. દંડ ન ભરે તો વધુ ૫ મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર પીડિતાના પુનર્વસન માટે ૪ લાખનું વળતર ચૂકવવાનો સંવેદનશીલ આદેશ કરી સમાજમાં વિષયી તત્વો માટે લાલબત્તી સમાન દાખલો બેસાડ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com