લઘુ ઉદ્યોગ ભારતી–ભરૂચ જિલ્લા દ્વારા આગામી તા. 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાનાર એક્ઝિબિશનના આમંત્રણ માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન માત્ર એક્ઝિબિશનનું આમંત્રણ જ નહીં, પરંતુ ભરૂચ-અંકલેશ્વર વિસ્તારના ઉદ્યોગકારો, વેપારીઓ અને મુસાફરો માટે લાંબા સમયથી મહત્વની બનેલી રેલવે સ્ટોપેજની માંગણીને પણ પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2025થી પેન્ડિંગ રહેલી આ માંગણી અંતર્ગત મુંબઈ–અમદાવાદ વંદે ભારત ટ્રેનને ભરૂચ અથવા અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા તેમજ વડનગર-વલસાડ ટ્રેનને અંકલેશ્વર ખાતે રોકાણ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિજીએ આ બંને સ્ટોપેજના મહત્વ અંગે રેલવે મંત્રી સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી હતી.
રજૂઆતને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ગંભીરતાથી સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ખાસ કરીને બંને ટ્રેનના સ્ટોપેજ અંગે મંત્રીએ સકારાત્મક અભિગમ દર્શાવતા ભરૂચ-અંકલેશ્વર વિસ્તારની લાંબા સમયથી ચાલી રહેલી માંગને નવી આશા મળી છે. વંદે ભારત જેવી મહત્વની ટ્રેનને ભરૂચ કે અંકલેશ્વર ખાતે સ્ટોપેજ મળે તો ઉદ્યોગ, વેપાર, રોજગાર અને મુસાફરીના ક્ષેત્રે વિસ્તારને મોટો લાભ થઈ શકે છે. બીજી તરફ વડનગર-વલસાડ ટ્રેનના અંકલેશ્વર સ્ટોપેજથી દૈનિક મુસાફરો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની અવરજવર વધુ સરળ બનવાની શક્યતા છે. રેલવે મંત્રીના સકારાત્મક પ્રતિસાદ બાદ હવે ભરૂચ-અંકલેશ્વરના ઉદ્યોગકારો, વેપારીઓ અને મુસાફરોની નજર રેલવે વિભાગના આગામી નિર્ણય પર મંડાઈ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com