ભરૂચ શહેરમાં આજરોજ યોજાયેલી છડી મહોત્સવની ભવ્ય યાત્રા દરમિયાન કોમી એકતા, ભાઈચારો અને પરસ્પર સન્માનની ભાવનાજોવા મળી હતી.છડી મહોત્સવની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ભરૂચ શહેર લઘુમતી મોરચાના મહામંત્રી સાજીદભાઈ શેખ ઉર્ફે નવાબ તથા તેમની ટીમ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
સાજીદભાઈ શેખ ઉર્ફે નવાબ અને તેમની ટીમ દ્વારા છડી સાથે યાત્રામાં જોડાયેલા આગેવાનો તથા ઉપસ્થિત લોકો માટે પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમી વચ્ચે યાત્રામાં જોડાયેલા લોકોને પાણી મળી રહે તે માટે કરવામાં આવેલી આ વ્યવસ્થાને ઉપસ્થિત લોકોએ આવકારી હતી.આ ઉપરાંત યાત્રામાં ઉપસ્થિત આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને મોં મીઠું કરાવી પરસ્પર પ્રેમ અને સન્માનની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ભાઈચારો અને એકતાની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. એકબીજાના ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સહભાગી બનીને પરસ્પર સન્માન અને સૌહાર્દ જાળવવાનો સુંદર સંદેશ પણ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો.ભરૂચ શહેર હંમેશા પોતાની ગંગા-જમુની સંસ્કૃતિ, કોમી એકતા અને ભાઈચારાની પરંપરા માટે જાણીતું રહ્યું છે. ત્યારે છડી મહોત્સવની યાત્રા દરમિયાન જોવા મળેલી આ પહેલે ફરી એકવાર ભરૂચની એકતા અને સૌહાર્દની પરંપરાને ઉજાગર કરી છે.
છડી મહોત્સવની યાત્રામાં એક સમાજના લોકો દ્વારા બીજા સમાજના લોકોનું કરવામાં આવેલું આ સ્વાગત માત્ર એક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતા સમાજમાં એકતા, પ્રેમ, સન્માન અને ભાઈચારાનો સંદેશ પહોંચાડતું બન્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત લોકોમાં પણ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને હિન્દુ-મુસ્લિમ એકતાની આ પહેલ ભરૂચની કોમી એકતાની સુંદર મિસાલ બની હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com