ધોરાજીના ઐતિહાસિક ખ્વાજા સાહેબના મેદાન ખાતે તા. 10 સપ્ટેમ્બર, 2026ના રોજ આસ્થા અને શ્રદ્ધાથી સભર ‘સાબીરે પાક કોન્ફરન્સ’ તેમજ ‘ઉર્સ હુઝૂર બુરહાને મિલ્લત’નો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.સજ્જાદા નશીન હઝરત પીર લધાશાહ બાવાના અધ્યક્ષસ્થાને અને મહેમાન-એ-ખુસૂસી અલ્હાજ સૈયદ બોદુ બાપુ (કલારિયા શરીફ)ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા હઝરત મૌલાના સૈયદ અમીનુલ કાદરી સાહેબે પોતાના પ્રભાવશાળી વક્તવ્યમાં સમાજના સર્વાંગી વિકાસ માટે દીની તાલીમની સાથે સાથે આધુનિક અને ઉચ્ચ શિક્ષણ મેળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમની પ્રેરણાદાયી વાણીએ યુવાનો અને વાલીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.
આ રૂહાની મજલિસનું મુખ્ય આકર્ષણ મદ્રસા ફૈઝાને સિદ્દીકે અકબરના નાના-મોટા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સુંદર અને પ્રશંસનીય રજૂઆત રહી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને જોઈને ઉપસ્થિત સૌએ તેમની પ્રશંસા કરી હતી. દાતાશ્રીઓના સહયોગથી આશરે 25 જેટલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં દેશમાં પરસ્પર ભાઈચારો, અમન-શાંતિ અને સર્વત્ર સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તેમજ સારો વરસાદ થાય તે માટે વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી. પીર સૈયદ ઈકબાલ બાપુ સહિત રઝવી કમિટી, ખિદમતે ખલ્ક કમિટી અને રઝવી મિલાદ પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ સૌના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સકલેન ગરાણા, ધોરાજી
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com