ભરૂચના આમોદ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર પુનરાગમન કરતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ચોમાસું નબળું પડતાં અને વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોવા મળી રહી હતી. ખાસ કરીને ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત વચ્ચે ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
દિવસભર અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન હતા ત્યારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વીજળીના કડાકા-ભડાકા તથા ગર્જના સાથે વરસાદ વરસી પડ્યો હતો. લાંબા સમય બાદ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને પંથકમાં જાણે અષાઢી માહોલ ફરી જીવંત બન્યો હોય તેવું દૃશ્ય સર્જાયું હતું.
વરસાદના આગમનથી સૌથી મોટી રાહત ખેડૂતોને મળી છે. વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોના ચહેરા પર ચિંતાના સ્થાને ખુશીની લહેર ફરી વળી છે. ડાંગર, કપાસ, શાકભાજી સહિતના ઉભા પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ બની રહે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમયથી પાણીની અછતના કારણે કરમાતા પાકને આ વરસાદથી નવજીવન મળવાની આશા બંધાઈ છે. ખેડૂતો માટે ખેતીના નિર્ણાયક તબક્કે વરસેલો આ વરસાદ જાણે કુદરતની મહેર સમાન સાબિત થયો છે. જો આગામી દિવસોમાં પણ વરસાદનું જોર જળવાઈ રહે તો ખેતી પાકને મોટો લાભ મળી શકે છે. હાલ તો મેઘરાજાના પુનરાગમનથી આમોદ પંથકના ગામડાઓમાં રાહત, આશા અને ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023