Skip to main content

Geo Gujarat News

દહેજથી આમોદ સુધી ઝેરી બેદરકારીનો ટ્રેઇલ? હેઝાર્ડ વેસ્ટ રસ્તા પર ઢોળાતાં દુર્ગંધનો કહેર, GPCB અને તંત્ર સામે ઉઠ્યા તીખા સવાલો!

ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાં હેઝાર્ડ વેસ્ટના પરિવહન દરમિયાન સામે આવેલી ગંભીર બેદરકારીએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. વાગરા તાલુકાના દહેજની મેહાલી કંપનીમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરીને નીકળેલી ટ્રકમાંથી આમોદ ડેપોથી ચાર રસ્તા થઈ સમા હોટલ સુધીના માર્ગ પર જોખમી વેસ્ટ ઢોળાઈ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર માર્ગ પર ફેલાયેલી તીવ્ર દુર્ગંધના કારણે વાહનચાલકો, વેપારીઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા પર પડેલા આ વેસ્ટમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી હતી, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આરોગ્ય અંગે ભયનો માહોલ સર્જાયો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ટ્રકના ડ્રાઈવરે પણ આ કેમિકલ નુકસાનકારક હોવાનું સ્વીકાર્યું હોવાની ચર્ચા સામે આવી છે. જો વેસ્ટ ખરેખર હેઝાર્ડ છે, તો તેનું પરિવહન એટલી બેદરકારીથી કેમ કરવામાં આવ્યું? શું ટ્રક સંપૂર્ણપણે સીલ હતી? શું સુરક્ષા નિયમોનું પાલન થયું હતું?આ ઘટનાએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર અને જવાબદાર વિભાગોની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હેઝાર્ડ વેસ્ટના પરિવહન માટે કડક નિયમો હોવા છતાં જાહેર માર્ગ પર જોખમી વેસ્ટ ઢોળાઈ જવો માત્ર બેદરકારી નહીં પરંતુ લોકોના આરોગ્ય સાથે સીધો ચેડાં સમાન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રસ્તા પર પડેલા આ વેસ્ટને તાત્કાલિક વૈજ્ઞાનિક રીતે સાફ કરવામાં આવશે કે પછી તેને એમ જ છોડી દેવામાં આવશે? જો સમયસર સફાઈ અને તપાસ નહીં થાય તો વરસાદ કે વાહનોની અવરજવરથી આ કેમિકલ વધુ વિસ્તારોમાં ફેલાઈ શકે છે. હવે લોકો જવાબ માંગે છે. જવાબદાર કંપની સામે શું કાર્યવાહી થશે? ટ્રાન્સપોર્ટર સામે કડક પગલાં લેવાશે? અને GPCB તથા તંત્ર આ સમગ્ર મામલે માત્ર તપાસની જાહેરાત કરશે કે ખરેખર જવાબદારોને કાયદાનો કડક પાઠ ભણાવશે? સમગ્ર આમોદ પંથકની નજર હવે તંત્રની કાર્યવાહી પર ટકેલી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!