રાજકોટમાં માર્ગ અકસ્માતે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર પૂરપાટ ઝડપે જતા કાર ચાલકે રોંગ સાઇડમાં એક્ટિવા લઇને આવતા વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા. જેમાં 75 વર્ષના મનસુખલાલ ભાલોડિયા હવામાં ફંગોળાઇ રોડ પર પટકાયા હતા. અને તેથી વૃદ્ધ લોહીલુહાણ થઈ ગયા હતા. જોકે, તે ગંભીર રીતે ઘાયલ થતાં સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. વૃદ્ધાના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે સાંઇ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા 75 વર્ષીય મનસુખલાલ ભગવાનજી ભાલોડિયા તેમના પત્ની રમાબેન કે જેઓ બીમાર હોવાથી હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે અડફેટે લેતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થતાં લોહીલુહાણ થયા હતા. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પૂરપાટ આવતી કારે એક્ટિવાને અડફેટે લીધી
પાટીદાર ચોક પાસે બનેલી આ ઘટનાના CCTV હૈયું હચમચાવી દે તેવા છે. DD 03 K 6594 નંબરના કાર ચાલકે એક્ટિવા ચાલક (GJ 03 KN 7462) વૃદ્ધ અને તેમનાં પત્નીને અડફેટે લેતા તેઓ હવામાં ફંગોળાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જેમાં વૃદ્ધ મનસુખલાલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમનાં પત્ની રમાબેન ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળી રહ્યું છે. કારની સ્પીડ કેટલી હશે તે આ CCTV પરથી અંદાજ લગાવી શકાય છે.
કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી
કાર અડફેટે ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધ 75 વર્ષીય મનસુખલાલ ભગવાનજી ભાલોડિયાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ફરજ પર હાજર તબીબોએ વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધના પરિવારજનો દ્વારા અજાણ્યા કાર ચાલક સામે અકસ્માત સર્જી મોત નિપજવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું
અકસ્માત સર્જનાર મહિલા હોવાની ચર્ચા
જોકે, કાર ચાલક મહિલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસ તપાસ બાદ જ અકસ્માત સર્જનાર સામે આવશે. આ ઉપરાંત મૃતક મનસુખલાલના પત્ની બીમાર છે અને પુત્ર લંડનમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.