ભરૂચના નવા સરદાર બ્રિજ ઉપર આયસર ટેમ્પા ચાલકે આગળ ચાલતા ટેન્કરને અડફેટે લીધા બાદ રેલિંગમાં વાહન ઘૂસીને લટકી જતા જીવ બચાવવા નદીમાં કૂદકો માર્યો હતો. નદીના પટમાં પટકાતા તેનું મોત નિપજ્યું હતું. નવા સરદાર બ્રિજ પરથી શનિવારે રાતે પાલનપુરથી પોતાના ટેન્કર નંબર MH 25 AJ 0972 માં પામોલિન તેલ ભરી ડ્રાઈવર સજ્જન ચાંદઅલી ચૌધરી મુંબઈ જઈ રહયો હતો. દરમિયાન પાછળથી આવેલા આયસર ટેમ્પાએ ટેન્કરને ડ્રાઈવર તરફથી એડફેટે લીધું હતું આયસર ટેમ્પો ટેન્કર સાથે અકસ્માત સર્જી ચાલકે કાબુ ગુમાવતા આગળ નીકળી બ્રિજના ફૂટપાથ પર ચઢી ગયો હતો. જ્યાં બ્રિજની મજબૂત રેલિંગ સાથે ભટકાઈ લટકી ગયો હતો. મૂળ જોનપુરના અકસ્માત સર્જક ટેમ્પા ચાલક નનહેલાલ શ્રીરામે બ્રિજની રેલિંગ પર લટકતા ટેમ્પા વચ્ચે દરવાજો ખોલી પોતાનો જીવ બચાવવા નદીમાં છલાંગ લગાવી દીધી હતી. બીજી તરફ આ અકસ્માતને લઈ ટેન્કર ચાલકે વાહન ઉભું રાખી જોતા બ્રિજ નીચે નદીનો પટ હોય ટેમ્પા ચાલકનું પટકાતા માથામાં ગંભીર ઇજાને લઈ સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતની ઘટના અંગે સી ડિવિઝન પોલીસને જાણ કરતા તેઓએ દોડી આવી તપાસ હાથ ધરતા મૃતકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળતા તેની ઓળખ થઈ હતી. ઘટના અંગે ટેન્કર ચાલકની ફરિયાદના આધારે આયસર ટેમ્પના મૃતક ડ્રાઈવર સામે અકસ્માત સર્જી પોતાનું મોત નિપજાવવા બદલ ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન નવા સરદાર બ્રિજ પર ભારે ટ્રાફિકજામ થઈ જતા પોલીસે ક્રેઇનની મદદથી આયસર ટેમ્પને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવા કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com