ગ્રામ પંચાયતોમાં તલાટીઓની ગેરહાજરી અને લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ ન આવતું હોવાની બુમો પડી રહી હોવાથી સરકાર દ્વારા સાતેક મહિના પહેલાં ગેરહાજર રહેતાં તલાટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સબબનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. દરમિયાનમાં ભરુચ જિલ્લાના જંબુસર તાલુકામાં અનેક અરજદારો જેતે ગ્રામ પંચાયતના બદલે સીધા ટીડીઓ કચેરીએ તેમની રજૂઆતો કરવા આવતાં હોઇ કેટલાંક તલાટી ગેરહાજર રહેતાં હોવાનું જણાઇ રહ્યું હતું. જેના પગલે જંબુસરના તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં તેમના હસ્તકના 70 ગામોમાં પંચાયતની કામગીરીનું નિરીક્ષણ કરવા ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જાણવા મળ્યું હતુ કે, પાચકડા, ઠાકોર તલાવડી, ડાભા, સામોજ, નોંધણા અને ઉંમરા ગામની પંચાયત કચેરીમાં તલાટી ગેરહાજર જણાયાં હતાં. ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, તેમણે કલેક્ટર અને ડીડીઓની સૂચનાથી 70 પંચાયતોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં ગેરહાજર રહેનારા 6 તલાટીઓને નોટિસ આપી તેમનો એક દિવસનો પગાર કાપી તેમના સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવી છે. જેને લઈ ફરજ સમયે ગેરહાજર રહેનારા તલાટીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com