- વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરી
- પુરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા આવેદનમાં માંગ
- આહીર અને ગરાસીયા સમાજે ક્ષત્રિય સમાજને સમર્થન જાહેર કર્યું
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડા વિશે કરેલ ટિપ્પણી સામે વાગરા તાલુકાનો રાજપૂત સમાજે સૂત્રોચ્ચાર કરી સખત વિરોધ નોંધાવ્યો હતો. વાગરા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરી હતી. આ મામલે ક્ષત્રિય સમાજને આહીર અને મુસ્લિમ ગરાસીયા સમાજના લોકોએ સમર્થન જાહેર કર્યું હતુ.
ભારતમાં લોકસભાની ચૂંટણી તબક્કા વાર યોજાશે. ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. ત્યાં ગુજરાતના કેન્દ્રીય નેતાની વાણી વિલાસે ક્ષત્રિય સમાજને હતપ્રત કરી દેતા ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં પડઘા પડ્યા છે. રાજપૂત સમાજના લોકો પુરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પર ફાળવેલ ટીકીટ રદ કરવા સતત માંગ કરી રહ્યા છે. તેમ છતાં ભાજપ પાર્ટી દ્વારા કોઈ જ નિર્ણય નહિ લેવાતા રાજપૂત આંદોલન રાજ્ય બહાર વિસ્તરી રહ્યુ છે.જેની અસર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પણ થવા પામી હતી. વાગરા તાલુકા ભરના રાજપૂત સમાજના લોકો વાગરા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.ક્ષત્રિય સમાજના લોકો અને મહિલાઓ વાગરા મામલતદાર કચેરીએ પહોંચી પુરસોત્તમ રૂપાલા હાય હાયનું ભારે સૂત્રોચ્ચાર કરી વાતવરણ ગજવી દીધુ હતુ.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમની વાહિયાત ટીપ્પણીને લઇને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા,બહેનો – દીકરીઓને ઘેરો આઘાત લાગ્યો છે.ત્યારે તેમની લોકસભાની ટીકીટ રદ કરવામાં આવે.તેમજ સમાજ ની છબી બગાડવાના બદઈરાદા વિરુદ્ધ IPC તથા CRPC સંબંધિત તમામ કાયદાકીય કલમો વડે ગુનો નોંધી પુરસોત્તમ રૂપાલા ની ધરપકડ કરવાની આવેદનમાં માંગણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજપૂત સમાજ ના અજીતસિંહ રાજ,સંજયસિંહ રાજ, શૈલેન્દ્ર સિંહ,યુવરાજસિંહ દહેજ,જયદીપસિંહ અખોડ,જ્યેન્દ્રસિંહ સાયખાં તેમજ મોટી સંખ્યામાં રાજપૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.રાજપૂત સમાજના રોષને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે વાગરા પોલીસે મામલતદાર કચેરી ખાતે પોલીસ કાફલો ખડકી દીધો હતો.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com