ઘર કંકાસથી કંટાળી નર્મદા નદી પરના કેબલ બ્રિજ ઉપરથી નદીમાં કુદવા ગયેલી કિશોરીને ભરુચ શહેર સી.ડીવીઝન પોલીસે બચાવી માનવતા મહેકાવી છે. પોલીસે કિશોરી અને પરિવારનું કાઉન્સિલીંગ કરી તેના માતા-પિતાને સોંપી હતી.

ભરૂચ સી.ડીવીઝન પોલીસ મથકના ASI શૈલેષ ગોરધનભાઇ તેમના વિસ્તારમાં હાજર હતા. તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, એક કિશોરી નર્મદા નદી પર આવેલા કેબલ બ્રિજ પર ડીવાઈડરની બાજુમાં નર્મદા નદી તરફ મો રાખીને બ્રીજની કીનારી ઉપરથી નર્મદા નદીમાં કુદવાનો પ્રયાસ કરી રહી છે. આ માહિતી મળતા જ ASI શૈલેષભાઈ તાત્કાલિક સર્વેલન્સના માણસો અને મહિલા કોન્સ્ટેબલ સાથે નર્મદા નદી પરના કેબલ બ્રીજ પર પહોંચી ગયા હતાં. જ્યાં નદી તરફ મો રાખી બેઠેલી કિશોરીને યુક્તિ-પ્રયુક્તિથી નદીમાં ન કુદવા સમજાવી બહાર બોલાવી તેનું કાઉન્સીલિંગ કરીને તેણીને તેનું નામ ઠામ પુછતા તેણે પોતાની હકીકત પોલીસને જણાવી હતી. જેમાં તેણે ઘર કંકાસના કારણે જીવનથી કંટાળી ગઈ હોય આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં ફુદી જવા માટે આવી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી પોલીસ મથકે બોલાવી તેમનું પણ કાઉન્સીલિંગ કરી કિશોરીને પરીવારને સોંપી સુખદ મિલન કરાવી માનવતા મહેકાવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com