સાયખા બાદ હવે પખાજણ GIDCમાં આપઘાત! યુવા શ્રમિકોના મોતથી ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતા: વાગરા તાલુકાની પખાજણ GIDC વિસ્તારમાં આવેલી PIP લેબર કોલોનીમાં વધુ એક કરુણ ઘટના સામે આવી છે. મૂળ ઓરિસા રાજ્યના 25 વર્ષીય સમીરદાસ ગોદાબારી દાસે કોઈ અગમ્ય કારણોસર કોલોનીની છત પર લાકડાની વરી સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સમગ્ર લેબર કોલોનીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી અને પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. નોંધનીય છે કે ઔદ્યોગિક વિસ્તારોની લેબર કોલોનીઓમાં વારંવાર સામે આવતી આવી દુઃખદ ઘટનાઓ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. શ્રમિકો પર કામનું દબાણ, માનસિક તણાવ, રહેઠાણની સ્થિતિ અને જરૂરી કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હવે તપાસ બાદ સમીરદાસે આ અંતિમ પગલું શા માટે ભર્યું તે સ્પષ્ટ થશે.
એક પછી એક 25 વર્ષીય યુવાનોના આપઘાતથી ચકચાર! GIDCની લેબર કોલોનીઓમાં આખરે શું ચાલી રહ્યું છે? અત્રે ઉલ્લેખનીય છે, કે થોડા દિવસો અગાઉ જ સાયખા GIDC સ્થિત પરમ કેમિકલ કંપનીમાં પણ 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હવે ટૂંકા સમયગાળામાં જ પખાજણ GIDCની PIP લેબર કોલોનીમાં પણ વધુ એક 25 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા શ્રમિકોની માનસિક સ્થિતિ, રહેણાંક પરિસ્થિતિ અને કલ્યાણ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એક પછી એક યુવાન શ્રમિકોના આપઘાતના બનાવો માત્ર સંયોગ ગણાવી શકાય તેમ નથી. શું શ્રમિકો પર અસહ્ય માનસિક તણાવ છે? શું લેબર કોલોનીઓમાં તેમની સમસ્યાઓ સાંભળવા કે માર્ગદર્શન આપવા કોઈ અસરકારક વ્યવસ્થા છે? આવા પ્રશ્નોના જવાબ શોધવા હવે સંબંધિત કંપનીઓ અને તંત્રએ ગંભીરતાથી આગળ આવવાની જરૂર છે. જોકે, આ બંને બનાવોના ચોક્કસ કારણો અંગે પોલીસ તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
ઇરફાન ગોરજી, વાગરા
આ પણ વાંચો: પરમ કેમિકલ કંપનીના 25 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com