ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલ દ્વારા એક અઠવાડિયા અગાઉ ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન દર્દીઓને ભોગવવી પડતી ગંભીર સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી હતી. હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા તેમજ વિવિધ મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત થતાં સમગ્ર મુદ્દો લોકોના ધ્યાન પર આવ્યો હતો. સતત ઉઠેલા પ્રશ્નો અને જનઆક્રોશ બાદ આખરે હોસ્પિટલ પ્રશાસન હરકતમાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. યુવા કોંગ્રેસની રજૂઆત અને મીડિયાના અહેવાલોની અસર હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. લાંબા સમયથી અવગણાયેલી સમસ્યાઓના નિરાકરણ માટે હોસ્પિટલ તંત્રે તાકીદે સમારકામ, સ્વચ્છતા અભિયાન અને જરૂરી સુવિધાઓ ઉભી કરવાની કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને લાંબા સમયથી બંધ હાલતમાં પડેલા શૌચાલયોની સફાઈ કરી તેને ફરી દર્દીઓ અને તેમના સગાંઓ માટે કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલ મેનેજમેન્ટે રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓ સ્વીકારી તેના અમલીકરણ માટે હકારાત્મક પગલાં ભરવાની શરૂઆત કરી છે. તેમણે આ સમગ્ર લડતમાં સાથ અને સહકાર આપનાર ભરૂચના બુદ્ધિજીવી નાગરિકો તેમજ મીડિયાકર્મીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે જનતાને અપીલ કરી હતી કે સિવિલ હોસ્પિટલમાં આવનારા દરેક નાગરિકે સ્વચ્છતા જાળવવામાં પોતાનો સહયોગ આપવો જોઈએ જેથી ઉભી કરવામાં આવતી વ્યવસ્થા લાંબા સમય સુધી જળવાઈ રહે. યુવા કોંગ્રેસે વધુમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાની જનતાના હક, આરોગ્ય અને ન્યાયના પ્રશ્ને તેઓ કોઈપણ પ્રકારની બેદરકારી સામે મૌન નહીં રહે. જ્યાં પણ જનહિતના પ્રશ્નો ઊભા થશે ત્યાં કાયદાકીય અને ન્યાયિક લડત લડીને જવાબદાર તંત્રને જવાબદેહ બનાવવાની કામગીરી સતત ચાલુ રહેશે.

આ પણ વાંચો: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા ચરમસીમાએ!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com